જયપુર, તા.૩
રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારતા ૧૪ લોકોના મોત થયા છે જ્યારે ૪૦ ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજાના કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. સ્થાનિકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી પહેલા એક કારને ટક્કર મારી અને પછી અન્ય ગાડીઓને કચડતો ગયો. અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પરના ૩૦થી ૪૦ ગાડીઓની એક બીજામાં ટક્કર થઈ. ડમ્પરની સામે જે આવ્યું તેને ટક્કર મારી અને આશરે ૫૦ લોકોને કચડી નાંખ્યા. ડ્રાઈવરે ચિક્કાર દારૂ પીધો હોવાનો પણ દાવો છે.
અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક ધોરણે પોલીસે કહ્યું છે કે ડમ્પર ચાલકે ૫થી વધુ ગાડીઓને ટક્કર મારી ૫૦ લોકોને કચડ્યાં છે, જેના કારણે ૧૪ લોકોના મોત થયાના અહેવાલ છે. કેટલાક લોકો ગાડીઓની નીચે દબાઈ ગયા હતા.
લોહા મંડી રોડ નંબર ૧૪ પર થયેલા આ અકસ્માત બાદ ગાડીઓના ફૂરચાં ઊડી ગયા હતા. અકસ્માત બપોરે ૧ વાગ્યાની આસપાસ થયો. ડમ્પર અનેક વાહનો અને માણસોને કચડતો ગયો પછી છેલ્લે મોટા ડિવાઈડર સાથે અથડાઈ ઊભો રહ્યો. ઘટના એટલી ઝડપથી બની કે લોકોને બચીને ભાગવાનો મોકો પણ ન મળ્યો. રસ્તા પર જ્યાં ત્યાં લોકોના મૃતદેહ વિખેરાઈ ગયા. અનેક લોકોના શરીરના અંગ પણ કપાઈને રસ્તા પર વિખેરાઈ ગયા હતા. ઈજાગ્રસ્તો રસ્તા પર મદદની માંગ સાથે તડપતાં હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચ્યા હતા ડમ્પરને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. વાહનો ક્ષતિગ્રસ્ત થયા બાદ અનેક લોકો કારની અંદર જ ફસાઈ ગયા હતા. તેમને કટિંગ મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા. હાલ તો પોલીસ મૃતકોની ઓળખ કરી તેમના પરિજનોને જાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિકોમાંથી કેટલાકનો દાવો છે કે ડ્રાઈવર નશામાં હતો જ્યારે કેટલાકનો દાવો છે કે બ્રેક ફેઈલ થઈ હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. તેલંગાણાના રંગારેડ્ડીમાં નેશનલ હાઈવે પર સોમવારે સવારે ડમ્પર અને બસ વચ્ચે ટક્કરમાં ૨૦ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. બસ તંદૂરથી હૈદરાબાદ જઈ રહી છે જેમાં ૭૦થી વધુ મુસાફરો સવાર હતા.
પ્રાથમિક માહિતી અનુસાર ડમ્પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ સાથે ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસના ફૂરચાં ઊડી ગયા હતા અને ડમ્પરમાં ભરવામાં આવેલી નીચે પડતાં કેટલાક લોકો તેમાં દટાઈ પણ ગયા હતા. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે અને ડમ્પર ચાલક અને માલિક બંને સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેમના પ્રિયજનોના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો ખૂબ જ દુ:ખી થઈ ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ પર રવિવારે રાત્રે ભીષણ અકસ્માતમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો. જાેધપુરના ૧૮ શ્રદ્ધાળુ બિકાનેરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.








