નવી દિલ્હી, તા.૮
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝનું સમાપન થયું છે. ટીમ ઈન્ડિયાએ ૨-૧થી સીરિઝ પોતાને નામે કરી છે. તેવામાં સીરિઝમાં સ્લો ઓવર રેટ જાળવી રાખવાના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ટીમ ઈન્ડિયાને સજા ફટકારી છે. વનડે સીરિઝમાં એક ભૂલના કારણે મોટો દંડ લાગ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા પર મેચ ફીના ૧૦% દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કેએલ રાહુલે પણ પોતાની ભૂલ અને ટીમ પર લાગેલા ભારે દંડનો સ્વીકાર કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે મેચ ૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો.
આઇસીસી એલીટ પેનલ મેચ રેફરી રિચી રિચાર્ડસન દ્વારા ટીમ ઈન્ડિયા પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. કારણ કે કેએલ રાહુલની ટીમ નિર્ધારિત સમય પહેલાં બે ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયાએ આઇસીસી કોડ ઓફ કન્ડક્ટની કલમ ૨.૨૨ નું ઉલ્લંઘન કર્યું છે. જેમાં જણાવ્યુ છે કે, જાે કોઈ ટીમ નિર્ધારિત સમય પહેલાં બે ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તેમને દરેક ઓવર માટે કુલ ૫% દંડ ફટકારવામાં આવે છે. આમ ટીમ ઈન્ડિયા બે ઓવર પાછળ રહેવાના કારણે ૧૦% દંડ ફટાકરાયો છે. કેએલ રાહુલે ભૂલ સ્વીકારીને દંડ ભરવાની તૈયારી દાખવી છે. સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાને સ્લો ઓવર રેટ માટે દંડ કરવામાં આવતો નથી. કારણ કે, તેઓ આવી ભૂલો કરતા નથી. જાેકે, ક્યારેક ઓવર ગણતરીમાં ભૂલો નોંધપાત્ર નુકસાનમાં પરિણમે છે. ટેસ્ટ સીરિઝમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ વનડેમાં જીત મેળવીને સાઉથ આફ્રિકાથી બદલો લેવાના ઈરાદે ઉતરી હતી. જેમાં તે સફળ રહી. રાંચીમાં યોજાયેલી પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાએ ૧૭ રનથી જીત મેળવી હતી. જ્યારે રાયપુરમાં યોજાયેલી બીજી વનડે સાઉથ આફ્રિકાના પક્ષમાં રહી હતી.









