સુરત, તા.૨૪
ખાખી રંગની વર્દીમાં માનવતાનો રંગ ભળે ત્યારે સમાજના જરૂરિયાતમંદ વર્ગને સુખદ અનુભવ થતો હોય છે. સુરતના રાંદેર પોલીસનું ફરી એકવાર માનવતાવાદી રૂપ જોવા મળ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના જન્મજાત માનસિક દિવ્યાંગતા સાથેના સેરેબ્રલ પાલ્સી અને ડેવલપર ડિલેની બિમારીથી પીડિત ૮ વર્ષના દીકરાની સારવાર કરવી ખૂબ જ ખર્ચાળ હતી. છુટક મજૂરીકામ કરતા ઘરના મોભીને સારવારનો ખર્ચ પરવડી શકે તેમ ન હતો. એવા સમયે બાળક માટે રાંદેર પોલીસ દેવદૂત બનીને આવી અને બીમારીનો ૩-૪ લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લઈ મુસ્લિમ પરિવારને આર્થિક કરજમાં જતા ઉગાર્યા છે.
આ બીમારીમાં વ્યક્તિના સ્નાયુ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલન-ચલન કરી શકતા નથી. પરિવારે બાળકની સારવાર માટે પેટે પાટા બાંધીને સારવાર કરી તેમછતાં અંતે નિરાશા જ હાથ લાગી. પરિવારના મોભી કાપડ માર્કેટમાં છુટક દલાલીનું કામ કરી ઘર ગુજરાન ચલાવે છે. આવકની મોટા ભાગની રકમ દીકરાની સારવારમાં ખર્ચાઈ જતી હતી ત્યારે પરિવાર માટે સારવારના પૈસા ક્યાંથી લાવવા તેની ચિંતા લઈને આવતી હતી. આ સ્વભિમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરી રહ્યો હતો, જેમાં બાળકની દરરોજ ફિઝીયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી તેમજ સેન્સનરી ઈન્ટીગ્રેશન થેરાપી જેવી સારવારના સેશન કરાવવા પડે છે અને એક સેશન એક મહિનો ચાલે જેનો ૧૧ હજાર રૂપિયા ચાર્જ અને બેથી ત્રણ વર્ષ સુધી સારવાર શરૂ રહે છે, જેમાં કુલ ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતો જે આ પરિવારને પરવડે તેમ ન હતો.
રાંદેર પોલીસની સેવાભાવના વિશે અવારનવાર સાંભળ્યું હોવાથી અંતે પરિવાર રાંદેર પોલીસ સ્ટેશને મદદની આશાએ પહોંચ્યું હતું. પોતાના સંઘર્ષભર્યા જીવનમાં ગમે તેવી નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે. ત્યારે પરિવારને દીકરાની સારવાર માટે તબીબની સાથે પોલીસ પણ મદદ કરશે તેવા વિશ્વાસ સાથે રાંદેર પોલીસ સ્ટાફને મળ્યા હતા.
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજથી બે મહિના પહેલા મુસ્લિમ પરિવાર રાંદેર પોલીસ સ્ટેશન આવીને તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.સોનારાને મળીને પોતાની મુશ્કેલીની આપવીતી જણાવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય એવી ભાવના સાથે લોકોની મદદ અને સુરક્ષા માટે પોલીસ હરહંમેશ તૈયાર રહે છે. લોકોની સુરક્ષા સાથે લોકસેવા પણ કરવી જરૂરી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઝોન-૫ના ના.પોલીસ કમિશનર આર.પી.બારોટ અને એ.સી.પી.(કે ડિવીઝન) બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય એવો અમારો હેતુ રહ્યો છે.
