શિમલા, તા.૫
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગેરકાયદે બની રહેલી મસ્જિદને લઈને હોબાળો મચી ગયો છે. અહેવાલો અનુસાર સંજૌલી, શિમલામાં બનેલી ગેરકાયદે મસ્જિદ સંબંધિત વિવાદ વધી રહ્યો છે અને રાજ્યની સુખવિંદર સિંહ સુખુ સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે ગેરકાયદે બાંધકામને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. શિમલાના ચૌરા મેદાનમાં હિન્દુ સંગઠનોના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંજૌલીમાં જ્યાં મસ્જિદ બનેલી છે તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ સંજૌલીમાં બજારની બાજુમાં બનાવવામાં આવી છે અને તેના બે માળ ગેરકાયદે છે.
મસ્જિદ ગેરકાયદે હોવાથી તેને તોડી પાડવાની માંગ ઊઠી છે. ઉલ્લેખનીય છે કે આ રવિવારે જ અહીં પ્રદર્શન થયું હતું અને હવે આ મામલાએ જાેર પકડ્યું છે. આવી સ્થિતિમાં સરકારે સંજૌલીમાં ૫ કિમીની ત્રિજ્યામાં પોલીસ દળને તૈનાત કર્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બપોરના ૧૨ વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં બધું શાંત હતું પરંતુ પછી અચાનક ભીડ સ્થળ પર પહોંચી ગઈ હતી. દરમિયાન હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહે આરોપ લગાવ્યો કે મસ્જિદ બહારના લોકો દ્વારા ગેરકાયદે રીતે બનાવવામાં આવી હતી અને તેને તાત્કાલિક હટાવી દેવી જાેઈએ.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સુખુએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. મસ્જિદ સામે વિરોધ કરવા નીકળેલી ભીડ અંગે તેમણે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. સીએમએ કહ્યું કે આ મામલે બંધારણ મુજબ કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી જાેવાની જરૂર નથી. મસ્જિદ ગેરકાયદે રીતે બનાવવામાં આવી હોવાના પ્રશ્ન પર મુખ્યમંત્રીએ કહ્યું કે જાે તે ગેરકાયદે હોવાનું જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.