નવી દિલ્હી, તા.૬
દેશના એરપોર્ટો પર છેલ્લા ત્રણ દિવસથી એરલાઈન્સ કંપની ઈન્ડિગોની ૨૦૦૦થી વધુ ફ્લાઈટો રદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પીઆઈએલ કરવામાં આવી છે. અનેક એરપોર્ટ પરના ફ્લાઈટ રદનો સામનો કરી રહેલા મુસાફરો કંપની પર રોષ ઠાલવી હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે અનેક મુસાફરો તાત્કાલીક રિફંડની માંગ કરી રહ્યા છે, જેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરવામાં આવી છે.
મંત્રાલયે ઈન્ડિગોને પેસેન્જરના લગેજ પણ ૪૮ કલાકમાં પરત આપવાનો તેમજ અન્ય એરલાઈન્સ કંપનીઓને નિર્ધારીત ભાડા કરતા વધુ ભાડું ન લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. જાે આદેશનું પાલન કરવામાં નહીં આવે તો તાત્કાલીક એક્શલેવાની પણ ચેતવણી અપાઈ છે. શુક્રવાર બાદ શનિવારે પણ ઈન્ડિગોની અનેક ફ્લાઈટો રદ થઈ હતી, જેને પગલે મુસાફરોએ રિફંડ અને સામાન ન મળવાની ફરિયાદો કરી હતી. ઈન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ભયંકર ઑપરેશનલ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. ‘ઇન્ડિગો ઓલ પેસેન્જર એન્ડ અનધર’ જૂથ દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં આ પરિસ્થિતિને આકાશમાં માનવતાવાદી સંકટ ગણાવીને તાત્કાલિક ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.
મંત્રાલયે દેશની તમામ એરલાઈન્સ, ખાસ કરીને ઈન્ડિગોને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન લાગુ કરવામાં ૧૦ ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી હાલ પુરતી રાહત આપી છે. અઠવાડિયામાં એક દિવસ આરામ આપવાના બદલે કોઈપણ રજા ન આપવાનો ર્નિણય પરત ખેંચી લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન માપદંડોના બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યા બાદ ઇન્ડિગો ક્રૂ મેમ્બરની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કારણે ફ્લાઇટો રદ અને વિલંબ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‘નવા એફડીટીએલ નિયમનો પહેલો તબક્કો જુલાઈથી લાગુ થયો છે, જ્યારે બીજાે તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો છે, જેમાં રાત્રે છ ફ્લાઇટનું લેન્ડિંગ કરાતું હતું, જે બે કરી દેવાઈ છે. વાસ્તવમાં આ નિયમો માર્ચ-૨૦૨૪ થવાના હતા, જાેકે ઇન્ડિગો સહિતની એરલાઇન્સોએ વધારાના ક્રૂ મેમ્બરની જરૂરિયાત હોવાનું કહી તબક્કાવાર નિયમનો અમલ કરવાની માંગ કરી હતી.







