ગાઝા,તા.૧
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના કારણે ઈઝરાયલે ઈરાન પર હુમલા તો અટકાવી દીધા છે, પરંતુ ગાઝા પર હુમલા ચાલુ છે. ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝામાં સ્થિત કેફે, શાળા અને ભોજન વિત્તરણ સ્થળો પર હુમલો કરતાં આશરે ૯૪ લોકો માર્યા ગયા હતાં. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૫ દિવસમાં ઈઝરાયલના હુમલામાં ગાઝાના ૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતાં ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઉભુ થયુ છે.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી અત્યારસુધીમાં હુમલામાં ૫૬૫૦૦ પેલેસ્ટિનિયન મોતને ભેટ્યા છે. ખાલિદ ખેરીએ જણાવ્યું હતું કે, ગાઝામાં પીડા અને ક્રૂરતાનું સ્તર અસહ્ય છે. પેલેસ્ટિનિયનને સામૂહિક ધોરણે મારવામાં આવી રહ્યા છે.
ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝા પર હુમલો કરતાં કુલ ૯૫ લોકોના મોત થયા હતાં. જેમાંથી ૩૯ના મોત તો એક કેફેમાં જ થયા હતાં. દરિયાકિનારે આવેલા અલ-બાકા કેફે નજીક હુમલો થતાં ૩૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં. આ કેફેમાં ભોજન નહીં પણ મોબાઈલ ચાર્જ અને ઈન્ટરનેટ કનેક્શન મળી રહ્યું હતું. જ્યાં એક સ્થાનિક પત્રકાર ઈસ્માઈલ અબુ હતબ પણ માર્યા ગયા હતાં. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલના ફાઈટર જેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
ઈઝરાયલના સૈન્ય દળોએ કોઈપણ પ્રકારનું એલર્ટ આપ્યા વિના જ ગઈકાલે હુમલા કર્યા હતાં. તેમણે ટેન્ટમાં આશરો લઈ રહેલા શરણાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ટેન્ટમાં લાશોના ઢગલાં જાેવા મળ્યા હતાં. ઝૈતોન વિસ્તારમાં ભોજન વિત્તરણ કરતા વેરહાઉસ પર હવાઈ હુમલો કર્યો હતો. જ્યાં ૧૩ લોકો માર્યા ગયા હતાં. આ સિવાય ગાઝાના યાફા શાળામાં પણ બોમ્બ ફેંક્યો હતો.
વ્હાઈટ હાઉસ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ હવે ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અને બંધકોને મુક્ત કરવા પર ચર્ચા કરી રહ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર કરાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટ્રમ્પે પણ ગત શુક્રવારે સંકેત આપ્યો હતો કે, આગામી સપ્તાહ સુધી યુદ્ધવિરામ પર સહમતિ મળી શકે છે.
