સુરત, તા.૧૫
સુરતના રાણી તળાવ, ડુંગર શેરીમાં આવેલા ઘર નંબર ૧૨/૩૫૯ ધરાવતી ગ્રાઉન્ડ પ્લસ ટુ માળની ઇમારતનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેનો પહેલો અને બીજાે માળ એકસાથે ધરાશાયી થઈ ગયા હતા. આ મકાનની અંદર ૬૯ વર્ષીય ખલીલ અબ્દુલભાઈ રહીમ પેટીવાળા અને ૬૭ વર્ષીય સઈદ ઈસ્માઈલ પેટીવાળા હાજર હતા, જેઓ કાટમાળ પડતાની સાથે જ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને જાેતા ઘાંચીશેરી ફાયર સ્ટેશન અને નવસારી બજાર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર અને જવાનોએ કાટમાળમાં ફસાયેલા વૃદ્ધોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ રેસ્ક્યુના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જાેઈ શકાય છે કે ને ફાયરના જવાન અત્યંત સાવચેતીપૂર્વક કાટમાળ નીચેથી ૬૯ વર્ષીય અબ્દુલભાઈને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ફાયર વિભાગના જવાનોએ પથ્થરો અને લાકડાના કાટમાળ વચ્ચે ફસાયેલા બંને વૃદ્ધોને એક પછી એક સહી-સલામત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન જવાનોએ એવી રીતે કામગીરી કરી હતી કે ફસાયેલા વ્યક્તિઓને વધુ ઈજા ન પહોંચે. સદનસીબે, બંને વૃદ્ધોને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી. જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા બંને વ્યક્તિઓને જ્યારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા ત્યારે લોકોએ ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી.
કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ધોરણે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. મેડિકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ બાદ ખલીલ અબ્દુલભાઈ અને સઈદભાઈ બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બંનેની સ્થિતિ હાલ સ્થિર છે. મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થવા પાછળ મકાનનું જર્જરિત હોવું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
આ રેસ્ક્યુ ઓપરેશનમાં ઘાંચીશેરી અને નવસારી બજાર ફાયર સ્ટેશનના જવાનોએ જે રીતે જીવના જાેખમે કામગીરી કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની આ સમયસૂચકતાને કારણે બે જિંદગીઓ બચી ગઈ છે. હાલમાં સુરક્ષાના ભાગરૂપે મકાનના બાકી રહેલા જર્જરિત હિસ્સાને ઉતારી લેવાની અને આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.









