નવી દિલ્હી, તા.૧૫
દિલ્હી-એનઆરસીમાં વકરી રહેલા વાયુ પ્રદૂષણના સંકટ પર વરિષ્ઠ અધિવક્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત પ્રોટોકોલ અસ્તિત્વમાં છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશએ ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે ધનિકો દ્વારા પ્રદૂષણ ફેલાવાય છે અને ગરીબો તેનાથી સૌથી વધુ પીડાય છે. વરિષ્ઠ અધિવક્તાએ કોર્ટને જણાવ્યું કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન રમતગમતની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો, તેમ છતાં વિવિધ સ્થળોએ રમતગમતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારો કોર્ટના આદેશોને અવગણવા માટે ઉપાયો અને સાધન અપનાવી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના આદેશોનો હવાલો આપી રહ્યું છે, પરંતુ જમીની સ્તર પર સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી. આ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે કોર્ટ આ સમસ્યાથી સંપૂર્ણપણે વાકેફ છે અને માત્ર એવા જ આદેશો પસાર કરવામાં આવશે જે અસરકારક હોય અને તેનું પાલન કરાવી શકાય. સીજેઆઇ એ ટિપ્પણી કરી કે કેટલાક નિર્દેશો એવા હોય છે, જેને બળજબરીથી લાગુ કરવા પડે છે, પરંતુ મહાનગરોમાં લોકોની પોતાની જીવનશૈલી હોય છે, જેને બદલવી સરળ નથી.મુખ્ય ન્યાયાધીશે એ પણ મહત્ત્વની ટિપ્પણી કરી કે પ્રદૂષણની સૌથી વધુ અસર ગરીબો પર પડે છે, જ્યારે પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિઓમાં મોટાભાગે સંપન્ન વર્ગની ભૂમિકા હોય છે.








