સુરત, તા.૦૨
કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ ભાગતા ફરી રહ્યા છે. તેઓ કોઈપણ જગ્યાએ કોઈ પ્રસંગમાં હાજરી આપી રહ્યા નથી અને મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી. પોતાનું ઉમેદવારીપત્ર રદ થયા બાદ કલેક્ટર કચેરીથી નીકળીને ક્યાં ગયા છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. જાેકે, ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત રહેતી થઈ હતી.
સુરત લોકસભા વિસ્તારની અંદર મતદારોનો ભારે રોષ નિલેશ કુંભાણી ઉપર જાેવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારે જે પ્રકારનો ખેલ કરીને ઉમેદવારીપત્ર રદ કરાવ્યું છે તેને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત સ્થાનિક લોકોનો ગુસ્સો નિલેશ કુંભાણી તરફ વધી રહ્યો છે. નિલેશ કુંભાણીના ઘરની બહાર ગઈકાલ રાતે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી કરીને કાયદો વ્યવસ્થા જાળવી શકાય. પોલીસને પણ શંકા છે કે, નિલેશ કુંભાણી સુરતમાં તેમના ઘરે આવતા કાયદો વ્યવસ્થા જાેખમાઇ શકે છે.
નિલેશ કુંભાણી દ્વારા ગઈકાલે પોતે સુરતમાં આવી ગયા હોવાની વાત કરી હતી. આજે સવારે ૮ વાગ્યે માધવ ફાર્મ ખાતે મીડિયા સાથે વાતચીત કરવાનો મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો. મેસેજ મોકલવાના એક કલાક બાદ ફરીથી તેમના અંગત વ્યક્તિ તરફથી મેસેજ કરવામાં આવ્યો કે, તેમની તબિયત સારી ન હોવાથી તેઓ મીડિયા સાથે વાતચીત કરી શકે તેમ નથી. મેસેજ કર્યાના એક કલાક બાદ તેમની તબિયત કેવી રીતે ખરાબ થઈ શકે એ પણ એક મોટો પ્રશ્ન છે.