તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયૂ કબીર દ્વારા આપવામાં આવેલા નિવેદન પર હોબાળો મચી ગયો છે
કોલકાતા, તા.૨૨
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયૂ કબીરના નિવેદન પર હોબાળો મચી ગયો છે. ટીએમસીના આ ધારાસભ્યએ મુર્શિદાબાદમાં ૬ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદની આધારશિલા રાખવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ તારીખ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત બાબરી મસ્જિદના વિધ્વંસની વર્ષગાંઠ છે. ભરતપુરથી ચૂંટાયેલા આ ધારાસભ્યએ ગયા વર્ષે જ આ મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હુમાયૂ કબીરે શનિવારે મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, અમે ૬ ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ખાતે બાબરી મસ્જિદની નીંવ રાખીશું. તેને પૂર્ણ થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે. વિવિધ મુસ્લિમ નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
બાબરી મસ્જિદના મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસપર તીવ્ર હુમલો કર્યો છે. ભાજપએ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર ધર્મ આધારિત રાજનીતિ કરવા અને તુષ્ટિકરણની નીતિ અપનાવવાના આરોપો લગાવ્યા છે.
ભાજપના નેતા અગ્નિમિત્રા પૉલે કહ્યું કે, ભલે કોઈ પણ વ્યક્તિ મંદિર કે મસ્જિદનું નિર્માણ કરી શકે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ ધર્મના નામે રાજકારણ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ૬ ડિસેમ્બરની તારીખની પસંદગી પાછળ તૃણમૂલ કોંગ્રેસનો ઇરાદો સ્પષ્ટપણે દેખાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, તૃણમૂલ કોંગ્રેસએ અત્યાર સુધી લઘુમતીઓ માટે શું કામ કર્યું છે? ભાજપના અન્ય નેતા પ્રિયંકા ટિબરેવાલનું કહેવું છે કે, તૃણમૂલ કોંગ્રેસનો ધર્મનિરપેક્ષવાદ ફક્ત અમુક ધર્મ-વિશેષ પૂરતો સીમિત છે. તેમણે સવાલ ઉઠાવ્યો, જ્યારે તેઓ બાબરી મસ્જિદને ફરીથી સ્થાપિત કરવાની વાત કરે છે, ત્યારે હું જાણવા માંગુ છું કે તેઓ તે મસ્જિદમાં કોને આમંત્રણ આપશે?









