નવી દિલ્હી, તા.૮
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માર્ચ મહિના સુધી રોડ દુર્ઘટનાના પીડિતો માટે ‘કેશલેસ ટ્રિટમેન્ટ’ યોજના લાવવાની તૈયારી રહી છે.
આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને મહત્તમ ૧.૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. આ યોજના દેશભરમાં લાગૂ થશે અને રસ્તા પર કોઈ પણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે.
આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ , પોલીસ, હોસ્પિટલ અને રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓના સહયોગથી લાગૂ થશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ઈ-વિસ્તૃત દુર્ઘટના રિપોર્ટ (ઈડીએઆર) એપ્લિકેશનને એનએચએની લેવડદેવડ પ્રબંધન પ્રણાલી સાથે જાેડવામાં આવશે. આ આઈટી પ્લેટફોર્મ દ્વારા સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. ગડકરીએ જણાવ્યું કે આ યોજનાની શરૂઆત માર્ચ ૨૦૨૪માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચંડીગઢથી થઈ હતી. ત્યારબાદ તેને છ અન્ય રાજ્યોમાં પણ લાગૂ કરાઈ. પાયલોટ પ્રોજેક્ટનો હેતુ રોડ દુર્ઘટનાઓના પીડિતોને સમયસર તબીબી સારવાર આપવાનો હતો જેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા.
ગડકરીએ રોડ દુર્ઘટનાઓની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ડ્રાઈવરોનો થાક પણ એક મોટું કારણ છે. સરકાર કોમર્શિયલ ચાલકો માટે કામના કલાકો નક્કી કરવા માટે શ્રમ કાયદાઓનો અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશમાં લગભગ ૨૨ લાખ ચાલકોની કમી છે. જેને દૂર કરવા માટે વિશેષ તાલિમ સંસ્થાન બનાવવામાં આવશે. કાર્યશાળા દરમિયાન ગડકરીએ જણાવ્યું કે સરકાર વાહન ભંગાર નીતિને ઝડપથી લાગૂ કરવા પર કામ કરી રહી છે. આ સાથે જ સમગ્ર દેશમાં પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર(પીયુસી) ૨.૦ લાગૂ કરવામાં આવશે. બીએસ-૭ માપદંડોને લાગૂ કરવાની સમયમર્યાદા અને પ્રદૂષણમાં ઘટાડો લાવવા ઉપર પણ ચર્ચા થઈ.
દેશભરમાં ડ્રાઈવર તાલિમ સંસ્થાનોની સ્થાપના માટે નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે. જે હેઠળ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર ખોલવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત ઈ રિક્ષાની સુરક્ષા સારી કરવા માટે વિશેષ નિયમ અને દિશાનિર્દેશ બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રીએ નવી યોજના જાહેર કરવાની સાથે માર્ગ અકસ્માતના આંકડાઓ પણ રજૂ કર્યા હતા. જે અનુસાર, ૨૦૨૪માં કુલ ૧.૮૦ લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જેમાં ૩૦૦૦૦ લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે થયા છે.
ઉલ્લેખનીય છે, આ મૃતકોમાં ૬૬ ટકા લોકો ૧૮થી ૩૪ વર્ષનો યુવા વર્ગ હતો.
ગડકરીએ જણાવ્યું હતું કે, આપણી શાળાઓ અને કોલેજાેમાં યોગ્ય રીતે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટની વ્યવસ્થા ન હોવાથી ૨૦૨૪માં આશરે ૧૦ હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. શાળાઓની ઓટો રિક્ષા અને મીની બસ માટે નિયમો હોવા છતાં તેના અનુપાલનના અભાવે બાળકો પણ દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. અમે તમામ ખામીઓને ધ્યાનમાં લઈ તેને ઘટાડવા પ્રયાસ કરીશું. માર્ગ અકસ્માતની ઘટનાઓ ઘટાડવા માટે સૌએ એકજૂટ થઈ પ્રયાસ કરવો પડશે. નીતિન ગડકરીએ ગઈકાલ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે આયોજિત બેઠકમાં આ અંગે જણાવ્યું હતું.