હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : ભાગવત
ગુવાહાટી, તા.૧૯
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શતાબ્દી સમારોહના ભાગરૂપે આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધતી વખતે આરએસએસવડા મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારત અને હિન્દુ રાષ્ટ્રનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘જે ભારત પર ગર્વ કરે છે, તે હિન્દુ છે. હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે. ભારત અને હિન્દુ એક જ છે.’ ભાગવતે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેની સભ્યતા પહેલેથી જ આ વાત જાહેર કરે છે. હિન્દુ શબ્દ ધાર્મિક નહીં પણ હજારો વર્ષોની સાંસ્કૃતિક પરંપરા સાથે જાેડાયેલી એક સભ્યતાગત ઓળખ છે. ભારત અને હિન્દુ એકબીજાના પર્યાય છે.
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવા માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવાની જરૂર નથી.’ મોહન ભાગવતે આરએસએસની સ્થાપનાના ઉદ્દેશ વિશે કહ્યું કે, ‘આરએસએસ’ની સ્થાપના કોઈનો વિરોધ કરવા કે નુકસાન પહોંચાડવા માટે કરાઈ નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભારતને વૈશ્વિક નેતા બનાવવામાં યોગદાન આપવા માટે કરાઈ હતી. વિવિધતા વચ્ચે ભારતને એક કરવાની પદ્ધતિને આરએસએસ કહેવામાં આવે છે.’









