સુરત, તા.૧૮
સુરત શહેરના હાર્દ સમાન સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી નરકાગાર જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ‘ગટરીયા પૂર‘ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ પાણીના નિકાલમાં સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગટરની લાઈનોમાં અવરોધ ઊભો થયો હોવાનું મનાય છે. આ ક્ષતિના કારણે ગટરના ગંદા પાણીનો નિકાલ અટકી ગયો છે અને તે ઉભરાઈને આસપાસની ગલીઓ તેમજ રહેણાંક મકાનોમાં ઘુસી ગયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે અવરજવર પણ બંધ જેવી થઈ ગઈ છે.
ઘરોમાં ગંદકી, અનેક મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન થયું છે. સ્થગિત ગંદા પાણીને કારણે આ વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ છે.
સાથે જ મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર પાણી ઉતારવાની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી.









