સિટી ટુડે: 29 : સુરત
સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી અરશદ જરીવાલાની નિમણૂક જાહેર કરી છે.
શ્રી અરશદ જરીવાલા હાલમાં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના એકમાત્ર ચૂંટાયેલા કોંગ્રેસ કોર્પોરેટર તરીકે જનતાના પ્રશ્નોને સતત અને અસરકારક રીતે રજૂ કરી રહ્યા છે. શહેરના નાગરિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને લઈને તેઓ સતત સક્રિય રહ્યા છે.
તાજેતરમાં નાસીરનગર મુદ્દે અસરગ્રસ્ત પરિવારોના અધિકારો માટે તેમણે સતત લડત આપી હતી અને આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચાડી ન્યાય માટે મજબૂત રજૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જનહિતના પ્રશ્નો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સંઘર્ષશીલ કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
નિમણૂક પત્રમાં શ્રી અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શ્રી અરશદ જરીવાલા સુરત શહેરના નાગરિકોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે મહાનગરપાલિકામાં રજૂ કરશે, કોંગ્રેસ પક્ષની જનકલ્યાણકારી વિચારધારાને અનુરૂપ પ્રજાની સેવા કરશે તેમજ લોકોના હક્ક અને હિતની લડતને વધુ મજબૂતી આપશે.
શ્રી અરશદ જરીવાલાની આ નિમણૂકથી સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો અવાજ વધુ સશક્ત બનશે અને શહેરના પાણી, ડ્રેનેજ, રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ તથા અન્ય નાગરિક પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ વધુ આક્રમક અને જવાબદાર ભૂમિકા ભજવશે તેવી કાર્યકરો અને નાગરિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ શ્રી અરશદ જરીવાલાને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

