સિટી ટુડે : 24
ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા
તા. ૨૬ના રોજ સમગ્ર વિશ્વના મુસ્લિમો ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસની ખુશીમાં ઈદે મિલાદુન્નબી ﷺની ઉજવણી કરે છે. ૧૨ રબીઉલ અવ્વલનો આ પવિત્ર દિવસ માનવજાત માટે રહેમત, મોહબ્બત, ભાઈચારો અને ન્યાયનો સંદેશ લઈને આવેલો ઐતિહાસિક દિવસ છે.
પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺના આગમન પહેલાં સમાજમાં અજ્ઞાનતા, અંધકાર, જુલ્મ, અન્યાય, લૂંટફાટ, ભેદભાવ અને અનેક સામાજિક બુરાઈઓનું પ્રભુત્વ હતું. આવા સમયમાં આપ ﷺએ સમગ્ર માનવજાતને તમીઝ, અખલાક, ઈન્સાફ, રહેમ, મોહબ્બત અને ભાઈચારાનો પયગામ આપ્યો.
આપ ﷺએ એક અલ્લાહની ઈબાદતનો સંદેશ આપવાની સાથે માનવમાત્રને સન્માનથી જીવવાનો અધિકાર સમજાવ્યો. દીકરીઓને જીવવાનો અધિકાર અને સમાજમાં મહિલાઓને સન્માન અપાવ્યું, ગરીબો અને નબળા વર્ગો પ્રત્યે દયા અને મદદનો સંદેશ આપ્યો તથા નફરતના સ્થાને મોહબ્બત અને જુલ્મના સ્થાને ન્યાય સ્થાપવાનો માર્ગ બતાવ્યો.
એટલે ઈદે મિલાદુન્નબી ﷺ માત્ર ખુશી મનાવવાનો દિવસ નથી, પરંતુ પયગંબર સાહેબ ﷺના અખલાક અને માનવતાના સંદેશને આપણા જીવનમાં ઉતારવાનો દિવસ છે. આ દિવસને ઈન્સાનિયતની આઝાદીનો દિવસ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.
કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ સાઉદી અરબના મદીના મુનવ્વરાથી યાદીમાં જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છમાંથી આશરે ૪૦૦થી વધુ લોકો ઈદે મિલાદુન્નબી ﷺની ઉજવણી માટે મદીના મુનવ્વરા પહોંચ્યા છે. ગુજરાતના મુસ્લિમ ધર્મગુરુ સૈયદ મઝહર અબ્બાસ બાવા કાદરી (અમદાવાદ) પણ મક્કા-મદીના ખાતે ઉમરાહની યાત્રાએ છે અને ત્યાંથી ઈદે મિલાદુન્નબી ﷺ નિમિત્તે સમગ્ર ગુજરાત અને કચ્છના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
આ પવિત્ર અવસરે હાજી જુમા રાયમાએ જણાવેલ કે સૈયદ મઝહર અબ્બાસ બાવા સૈયદ અનુબાપુ તથા સૈયદ તાલીબ હુશેન બાપુ એ તમામ દેશવાસીઓ માટે ખાસ દુઆ કરતા જણાવ્યું કે મુલ્ક-એ-હિન્દુસ્તાનમાં હંમેશા અમન, શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશ સતત વિકાસ કરે, ભારત વિશ્વમાં વધુ શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્ર બને અને દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન થાય. હમવતન ભાઈઓ સહિત સમગ્ર માનવજાત માટે સુખ, શાંતિ અને સલામતીની દુઆ કરવામાં આવી.
આ ઉમરાહ યાત્રામાં સૈયદ મઝહર અબ્બાસ બાવા કાદરી સાથે કચ્છના મુસ્લિમ અગ્રણીઓ હાજી જુમા રાયમા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, સૈયદ અનવરશા બાપુ (અનુબાપુ), સૈયદ તાલીબ હુશેન બાપુ, હુશેન આગરીયા, દાઉદ બોલીયા, શાહનવાઝ શેખ, અકબર કુંભાર, જાવેદ, સંજયસિંહ રાણા, સંદીપસિંહ રાણા સહિતનો કાફલો અલ કસ્વા ટુર્સ, ભુજ મારફતે જોડાયો છે.
મદીના મુનવ્વરાથી હાજી જુમા રાયમાએ સમગ્ર કચ્છ અને ગુજરાતના લોકોને ઈદે મિલાદુન્નબી ﷺની દિલી મુબારકબાદ પાઠવી અને સૌ માટે અમન, શાંતિ, ભાઈચારો તથા ખુશહાલી માટે દુઆ કરી.
ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક! સંદેશ
મોહબ્બત ફેલાવીએ, નફરત મિટાવીએ અને ઈન્સાનિયતનો સંદેશ આગળ વધારીએ.
તેવુ હાજી જુમા રાયમા એ મદીના (સાઉદી અરબ) થી જણાવેલ

