ગાંધીનગર, તા.૩૦
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારજનોને મોટા ફાયદા માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. હવે રહેણાંક મકાનના ટ્રાન્સફર માટે લાગતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ વસૂલવામાં આવશે, જ્યારે બાકી ૮૦% સુધીની રકમ માફ કરાશે. આ રાહત ખાસ કરીને એવી મિલકતોના ટ્રાન્સફર માટે લાગુ પડશે જે સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે આપવામાં આવે છે. આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ ની કલમ ૯(ક) હેઠળ અમલમાં મૂકવામાં આવી છે.
સતત મળતી દંડની રકમ સાથે મળીને, હવે ખરીદદાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ ભરવી પડશે. અગાઉ જેટલી કુલ રકમ વસૂલાતી હતી, એ જ વસૂલાશે, પરંતુ વધારાનો કોઈ દંડ ભરવો નહીં પડે. આ છૂટ માત્ર તેવા કેસમાં લાગુ પડશે જ્યાં મિલકતનો હસ્તાંતરણ સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એમના એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે કરવામાં આવ્યો હોય. રાજ્ય સરકારે ચાર મહિના અગાઉ ટ્રાન્સફર ફી બાબતે પણ મહત્વપૂર્ણ સુધારો કર્યો હતો.
હવે હાઉસિંગ અથવા હાઉસિંગ સર્વિસ સોસાયટી કોઈ પણ મિલકતના ખરીદ/વેચાણ વખતે ટ્રાન્સફર ફી તરીકે કુલ અવેજ રકમના ૦.૫% કે વધુમાં વધુ ૧ લાખ જ વસૂલ કરી શકશે. રાજ્યમાં હાલ ૩૦,૦૦૦ જેટલી હાઉસિંગ સોસાયટીઓ કાર્યરત છે. અગાઉ કેટલીક સોસાયટીઓ કાયદા વિરુદ્ધ વધારે ફી વસૂલતી હતી. તેને રોકવા માટે રાજ્ય સરકારે ૨૦૨૪માં સહકારી કાયદામાં સુધારા કર્યા છે.
