
City ટુડે.૫-૫-૨૦૨૬
અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત
આજે જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ રાજયના પોલીસ વડા શ્રી ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી ઉપરોક્ત બાબતે રજૂઆત કરી હતી.
અમદાવાદના નરોડા ખાતે ગત સપ્તાહમાં ગૌરક્ષકોના નામે ગુંડાગિર્દી કરતા અસામાજિક તત્વો દ્વારા કાયદા દ્વારા પ્રમાણિત મૃત પશુઓની હેરફેર કરતી ટ્રકને બાળી દેવામાં આવી હતી તથા ડ્રાઈવર તથા ક્લીનરને બોથડ પદાર્થ દ્વારા ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી.
ઉપરોકત બાબતે ગંભીર ઘટનાની નોંધ લઈ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી પકડાયેલા આરોપીઓ સામે સત્ર કાનૂની કાર્યવાહી કરી ૩૦૭ ની કલમ ઉમેરવા માંગણી કરતા જણાવ્યુ હતું કે આગામી ઈદ ઉલ અઝાના પ્રસંગે કાયદા દ્વારા પ્રમાણિત પશુઓની હેરફેર કરતા વેપારીઓ અને વાહન ચાલકોને કહેવાતા ગૌરક્ષકો ના નામે ગુંડાગીર્દી કરતા તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કે હિંસા કરવામાં ના આવે માટે તકેદારીના પગલા રુપે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગને કડક સૂચના આપવામાં આવે અને આ પ્રકારના ગૌરક્ષાના નામે હિંસા કરતા તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવે એવી રજૂઆત સાથે માંગણી કરી હતી.

