પટણા, તા.૨૨
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવા માટે તૈયારી બતાવી છે. જાે કે, તેમણે આ સમર્થન માટે એક સ્પષ્ટ શરત મૂકી છે, જે ઉત્તરપૂર્વીય બિહારનો પછાત વિસ્તાર સીમાંચલ પ્રદેશ સાથે સંબંધિત છે.
અમૌરમાં એક જાહેર સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, મારી પાર્ટી નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ સીમાંચલ પ્રદેશને ન્યાય મળવો જ જાેઈએ. વિકાસ ફક્ત રાજધાની પટણા અને પર્યટન સ્થળ રાજગીર પૂરતો મર્યાદિત ન હોવો જાેઈએ. ક્યાં સુધી બધું પટણા અને રાજગીર આસપાસ કેન્દ્રિત રહેશે? તેમણે જણાવ્યું હતું કે, સીમાંચલ નદીના ધોવાણ, મોટા પાયે સ્થળાંતર અને વ્યાપક ભ્રષ્ટાચારથી ઝઝૂમી રહ્યું છે અને સરકારે આ મુદ્દાઓ પર ધ્યાન આપવું જાેઈએ. સીમાંચલ પ્રદેશ મુસ્લિમ વસ્તી ધરાવતો અને રાજ્યના સૌથી પછાત વિસ્તારોમાંનો એક છે, જ્યાં લગભગ ૮૦ ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.
નીતિશ સરકારને સમર્થન આપવાના પ્રસ્તાવની સાથે ઓવૈસીએ તેમના પક્ષના ધારાસભ્યોની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કડક યોજના જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પાંચેય ધારાસભ્યો અઠવાડિયામાં બે દિવસ તેમના મતવિસ્તારના કાર્યાલયોમાં બેસશે. ધારાસભ્યોએ તેમને તેમના લાઇવ વોટ્સએપ સ્થાન સાથે ફોટા મોકલવા પડશે, જેથી તેમની હાજરીની ખાતરી થઈ શકે. આ ઉપરાંત ઓવૈસીએ પોતે છ મહિનાની અંદર આ કાર્ય શરૂ કરવાનો અને દર છ મહિને એકવાર મુલાકાત લેવાનો પ્રયાસ કરવાની વાત કહી. તેમણે કહ્યું કે, અમે જનતા સાથે મળીશું અને ભ્રષ્ટાચાર સામે લડીશું.








