સુરત, તા.૧૨
સુરત રેલવે સ્ટેશન ખાતે આજે બપોરે એક મહિલા પોતાનાં બે સંતાન સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પહોંચી હતી અને આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેન અડફેટે આવતાં મહિલા કપાઈ ગઈ હતી અને અને તેનું ઘટનાસ્થળે જ કામકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાં બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ૧૩ દિવસમાં શહેરમાં આ ચોથી સામૂહિક આપઘાતની ઘટના છે. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જાેઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ૧૦૮ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં ૩ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર છે. સુરતમાં ૧૩ દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.
મૃતક મહિલા અંગેની પરિવારની મળતી વિગતો પ્રમાણે, મૃતક મહિલા ૨૯ વર્ષીય જયશ્રીબેન હિતેશભાઈ પ્રજાપતિ ડભોલી વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ, સાસુ, નણંદ અને એક દીકરી-દીકરો છે. જયશ્રીબેન સુમુલ ડેરીના પનીર પ્લાન્ટમાં નોકરી કરતા હતા. જ્યારે પતિ વડોદરા આરટીઓ ખાતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. આજરોજ બપોરના સમયે જયશ્રીબેન પોતાની પાંચ વર્ષની દીકરી વેદાંશી અને ત્રણ વર્ષના દીકરા નક્ષને લઈને સુરત રેલ્વે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પ્લેટફોર્મ નંબર ૨ પર જયશ્રીબેન પોતાના બંને સંતાનોને લઈને પહોંચી ગયા હતા અને ટ્રેન નીચે સૂઈ જઈને આપઘાત કરી લીધો હતો. આ વચ્ચે બન્ને બાળકો પણ ટ્રેનની ઝડપે આવી ગયા હતા. તેના પગલે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ મહિલા દ્વારા આ પ્રકારનું પગલું શા માટે ભરવામાં આવ્યું તે અંગે પરિવારજનો પણ કઈ જાણતા નથી. રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
