અમદાવાદ, તા.૦૨
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.ક્ષત્રિયોના આ વિરોધ સામે ભાજપે નમતું જાેખ્યું ન હોવાથી અને પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરી ન હોવાથી ક્ષત્રિયોનો રોષ ઉગ્ર બન્યો છે
. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ગામે-ગામ ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે, આજરોજ આણંદ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યાં હતાં. જય ભવાનીપ.ભાજપ જવાનીના નારાઓ લાગ્યા હતા. સંમેલનમાં આગેવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું.
ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પસાકાકાએ એસીમાં બેસીને ક્ષત્રિયોને તડકામાં લાવી દીધા છે. હવે જાે આખી ભારતીય જનતા પાર્ટીને રોડ પર ના લાવીએ તો અમે ક્ષત્રિય નહીં. ભાજપે ક્ષત્રિયોને આંદોલન કરવા મજબૂર કર્યા છે. શું રૂપાલા ભાજપની કાળી કરતુત જાણે છે? એટલે તેમની ટિકિટ ન કાપી ?, રૂપાલાની માફીમાં પણ અહંકાર છે. ભાજપનો રામ પ્રત્યેનો પ્રેમ માત્ર રાજકારણ જ છે.
મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે, રાજપૂત કરણીસેનાના કોઈ પણ સિપાહી, પદાધિકારી ભાજપને હજી પણ સહયોગ કરી રહ્યો છો તો આજે જ તેની માન્યતા રદ કરવામાં આવે છે. તમને લાગે છે કે, કોઈ કરણીસેનાના નામે ભાજપામાં દલાલી કરે છે તો તે ફ્કત દલાલ છે. રાજપૂત અને કરણીસેના સાથે તેનો કોઈ સંબંધ નથી.
રાજકોટમાં યોજાયેલા અસ્મિતા મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આજે આણંદમાં યોજાયેલા સંમેલનમાં પણ હજારોની સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયેલા જાેવા મળ્યા હતા. ખેડા અને આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ સંમેલનમાં હાજરી આપી હતી. યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, આ ૭ તારીખ આપણાં માટે દશેરા છે, આ આંદોલન ૭ તારીખે પુરૂ નથી થવાનો, આ તો પહેલો પડાવ છે. આ ક્ષત્રિય સમાજે લોહી પીધું નથી, લોહી દીધું છે.