અમદાવાદ, તા.૦૫
ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે સાત બેઠકો પર સંકટ હોય તેવું ભાજપના ઇન્ટરનલ સર્વે રિપોર્ટમાં જણાયું છે. જેનાથી ભાજપનું હાઉકમાન્ડ પણ પરેશાન થયું છે. સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, જામનગર, બનાસકાંઠા, વલસાડ બેઠક પર ભાજપ માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોએ સર્વ સમાજ એકતા સંમેલન યોજ્યું હતું. બ્રહ્મસમાજ, કોળી સમાજ સહિત અન્ય સમાજે પણ ક્ષત્રિયોના આંદોલનને ટેકો આપ્યો હતો. ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના શપથ લેવાયા હતા. જ્યારે ખેડામાં એક આગેવાને જણાવ્યું કે અમને અનેકવિધ જ્ઞાાતિ-સમાજે આ આંદોલનમાં ટેકો આપ્યો છે તેમનું ઋણ અમે ભૂલીશું નહીં, તે સમાજને જ્યારે પણ કોઈ મુશ્કેલી પડશે ત્યારે અમે તેમની પડખે રહેશું. આગેવાનોએ ક્ષત્રિય વસ્તીવાળા ગામો,લત્તાઓમાં તંત્ર દ્વારા સ્લીપ વિતરણ નહીં કરાયાનો આક્ષેપ પણ કર્યો હતો.
પરશોત્તમ રૂપાલાએ રાજવી અને ક્ષત્રિય સમાજના વિશે અપમાનજનક ટિપ્પણી કરી. જેને લઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું. રૂપાલા વિરોધી અને ભાજપ તરફી ઠેર-ઠેર ક્ષત્રિયોના સંમેલન યોજાયા. ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરી તો ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. આ ૭ લોકસભા બેઠકની ૨૮ નગરપાલિકાઓ ઉપર કોંગ્રેસને ફાયદો થશે તેવી ચર્ચા ચાલી છે. કેમકે ઓક્ટોબરમાં મહિનામાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપને ફટકો પડવાની સંભાવના છે. ભરૂચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર કચ્છમાં પણ ક્ષત્રિય આંદોલનની નેગેટીવ અસરની સંભાવના જાેવાઈ રહી છે. રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા, પણ હજુય ક્ષત્રિય સમજામાં રોષ યથાવત્ છે. સ્થિતી એવી છે કે, ભાજપના નેતાઓને ગામડામાં પ્રચાર કરતાં વિરોધ સહન કરવો પડી રહ્યો છે.