સુરત, તા.૭
સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આવતીકાલથી ૨૦૧ જેટલી ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પરથી આવાગમન થશે. આ કામગીરીની સમીક્ષા કરવા પશ્રિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક ગઈકાલે સુરત આવ્યાં હતા અને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.૨-૩ની રિડેવલપમેન્ટની કામગીરીને પગલે ઉધના રેલવે સ્ટેશન ઉપર ડ્રાયવર્ટ કરાયેલી ટ્રેનોને પગલે મુસાફરોને અસુવિધા ન થાય એ માટે મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે ક્યુઆર કોડ જાહેર કર્યો હતો. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ-૨ અને ૩ એ ૮મી જાન્યુઆરીથી ૬૦ દિવસ માટે ટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યા છે. તેને બંધ કરીને બ્લોક લેવા માટે પશ્ચિમ રેલવેએ રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને હવે મંજૂર કરવામાં આવ્યો હતો. ૬૦ દિવસ માટે પ્લેટફોર્મ નંબર-૨ અને ૩ બંધ રહેતા તમામ ટ્રેનોને ઉધના સ્ટેશન પરથી ચલાવવામાં આવશે. જેના કારણે સુરત રેલ્વે સ્ટેશનથી ચાલતી ૨૦૧ જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવશે. જ્યારે ૧૬૪ ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ અને ૪ ઉપરથી ચાલશે.
સુરત પ્લેટફોર્મ-૨ પર સ્ટોપ કરતી અપ લાઈનની ૧૨૨ એક્સપ્રેસ ટ્રેનો અને સુરત પ્લેટફોર્મ-૧ પર સ્ટોપ લેતી ડાઉન લાઇનની ૭૯ ટ્રેનો જાન્યુઆરીથી ઉધના શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે રાજધાની, વંદે ભારત, શતાબ્દી, તેજસ, પશ્ચિમ, સૂર્યનગરી, અવધ જેવી પ્રીમિયમ ટ્રેનો સહિત ૬૨ ટ્રેનો માત્ર સુરત સ્ટેશનના પ્લેટફોર્મ ૧ અને ૪ પરથી દોડશે. રેલવેના આ ર્નિણયના કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારણ વધશે. જેના કારણે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યાનો મુસાફરોને સામનો કરવો પડી શકે છે. જેને સરળ કરવા માટે પણ રેલવે તંત્રે કમરકસી છે.
સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ-૨ અને ૩ આજ રાતથી બંધ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ૨૦૧ જેટલી ટ્રેનો હવે સુરતની જગ્યાએ ઉધના રેલ્વે સ્ટેશન પર રોકાશે. આ ફેરફારથી મુસાફરીમાં મોટાપાયે પરિવર્તન આવશે અને ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ જ વધી જશે. હાલમાં, ઉધના સ્ટેશન દરરોજ ચારેક હજાર મુસાફરોની સંભાળ લે છે, પરંતુ આ સંખ્યા હવે વધીને અંદાજિત ૭૫ હજાર સુધી પહોંચવાની શક્યતા છે. આ મોટા પરિવર્તનને પહોંચી વળવા માટે ઉધના રેલ્વે સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન મુસાફરોને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગે ગૂંચવણ ઊભી ન થાય તે માટે ટિકિટ બુકિંગ દરમિયાન જે તે મોબાઈલ નંબર પર એસએમએસ આવશે. જેથી મુસાફરોને મુસાફરીની તમામ વિગતો મળી જશે. તેમજ ક્યુઆરકોર્ડ પણ મૂકવામાં આવશે. જેને સ્કેન કરતા જ તમામ માહિતી મોબાઈલમાં આવી જશે.
રી-ડેવલોપમેન્ટની કામગીરીને લઈને ૨૦૦થી વધુ ટ્રેનો સુરતને બદલે ઉધના શિફ્ટ કરવામાં આવી છે. જેમાં રેલ્વે અને પ્લેટફોર્મની માહિતીને લઈને મુસાફરો ગોથે નહીં ચડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના સ્ટેશનના વિવિધ એરિયામાં ક્યુઆરકોર્ડ સ્કેનર મૂકી દેવામાં આવ્યા છે.
ઉધના રેલ્વે સ્ટેશન ખાતે આ વ્યવસ્થા જોવા મળશે, સુરત અને ઉધના સ્ટેશન પર ૧૫૦ જેટલા આરપીએફ, જીઆરપીએફ સહિતના અન્ય સ્ટાફ, ઉધના સ્ટેશન પર અત્યાર સુધીમાં ૫ ટિકિટ બારી હતી. જે હવે વધાવીને પ્લેટફોર્મ નંબર ૬ પર ૭ ટિકિટ બારી, ર્પાકિંગ એરિયા પાસે ૩ ટિકિટ બારી ચાલુ કરવામાં આવી, ઇસ્ટ અને વેસ્ટ સાઈડના વિસ્તારોમાં ર્પાકિંગ અને હોલ્ડિંગ એરિયા રાખ્યો, લાઈટિંગ, પીવાનું પાણી, ટોયલેટ જેવી સુવિધાઓ, લાઇસન્સ ધરાવતા ૫૦ જેટલા કુલીઓને સુરતથી ઉધના સ્ટેશન ટ્રાન્સફર કરશે, પ્લેટફોર્મ નંબર ૬ પર ખાણીપીણીના ૧૦ વેન્ડરને મંજૂરી, સ્ટેશન બહારની પરિસ્થિતિ માટે સુરત ટ્રાફિક અને સિટી પોલીસ તેમજ જીઆરપીએફ સાથે વાતો કરી, સિટી બસ અને રિક્ષામાં મુસાફરોના સ્ટેશનથી અવર-જવર માટેની તૈયારીઓ કરવામાં આવી છે.