ભોપાલ, તા.૧૩
નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે ૫ જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં ત્રણ પંચાયતોના નામ બદલવામાં આવ્યા હતા. હવે ફરી ૧૨ જાન્યુઆરીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે ૧૧ ગામોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ વખતે, શાજાપુર જિલ્લાના કાલાપીપલમાં જનતાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી.
સીએમએ કહ્યું કે નિપાનિયા હિસામુદ્દીનનું નામ બદલીને નિપાનિયા દેવ કર્યું, ધબલા હુસૈનપુર નામ ધબલા રામ, મોહમ્મદપુર પાવડિયાને રામપુર પાવડિયા તરીકે, ખજુરી અલ્લાહદાદને ખજુરી રામ તરીકે ઓળખવામાં આવશે.
તેમજ હાજીપુરને હીરાપુર, મોહમ્મદપુર મચ્છનાઈને મોહનપુર, રિછરી મુરાદાબાદને રિછરી, ખલીલપુર (ગ્રામ પંચાયત સિલુંડા)ને રામપુર, અંછોડને ઉંચાવડ, ઘટ્ટી મુખત્યારપુરને ઘટ્ટી અને શેખપુર બોંગીને અવધપુરી કહેવામાં આવશે.
સીએમ મોહન યાદવએ કહ્યું કે, ધારાસભ્યના કહેવા પ્રમાણે કેટલાક ગામોના નામ અટકી રહ્યા છે અને ખટકે છે. હું કંઈ ખોટું નથી કરી રહ્યો. કારણ કે મોહમ્મદપુર મચ્છનાઈમાં કોઈ મોહમ્મદ જ નથી તો આવું નામ શા માટે! ત્યાં કોઈ મુસ્લિમ ભાઈઓ હોય તો આ નામ રાખો, જાે છે જ નહિ તો ધારાસભ્યના કહેવા પ્રમાણે નામ બદલીને મોહનપુર કર્યું છે.
તેવી જ રીતે, ધબલા હુસૈનપુર અને મોહમ્મદપુર પવરિયાના નામ બદલતા મુખ્યમંત્રીએ કહ્યું, તમે કહ્યું કે ધબલા હુસૈનપુરમાં જ્યારે કોઈ હુસૈન નથી, તો પછી તેને હુસૈનપુર કેમ કહેવામાં આવે!, આથી આજથી તે ધબલા રામ તરીકે ઓળખાશે. તેમજ મોહમ્મદપુર પવરિયામાં રામપુર પવરિયાતરીકે ઓળખાશે.
