સુરત, તા.૨૭
સુરતમાં ચોમાસા દરમિયાન દર વર્ષે ખાડીપુર લોકોને પરેશાન કરી રહ્યું છે. ઉપરવાસમાં આવતા વરસાદને કારણે સુરત શહેરમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડીપૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડી પૂર માં લોકો પ્રભાવિત છે. તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. પર્વત ગામની એક સોસાયટીમાં લોકોએ જ્યાં સુધી ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવ્યા છે. શહેરમાં ખાડીપુરનો ૫મો દિવસ છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી પુરના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં બાખડી તમાશો કરી રહ્યાં છે.જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે. લોકોનો રોષ હવે બેનરમાં છલકાઇ રહ્યો છે. સોસાયટીના રહીશો દુષિત પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. સ્થાનિક નેતાઓ અને શાસકોને લઈને હવે લોકોમાં ભારે અસંતોષ છે. ખાડી કિનારાના પરવત ગામની એક સોસાયટીમાં બેનર લાગી ગયાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ખાડી પુર નો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષ વાળાએ આ લાઈનમાં વોટ માંગવા આવવું નહી. જાેકે, આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડી પુરના પાણી ભરાયા છે અને રાજકારણીઓ મદદ કરવાના બદલે તમાશા કરી રહ્યાં છે તે જાેતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બેનર લાગી શકે છે.
