સુરત, તા.૦૧
ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED), સુરતે ગુજસીટોકનાં કાયદા હેઠળ જેલમાં બંધ નાનપુરા જમરૂખ ગલીના કુખ્યાત આરોપી સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ, તેમના પરિવારના સભ્યો અને સાથીદારોના નામ પર નોંધાયેલી ૪.૨૧ કરોડની કિંમતની ૩૧ મિલકતો જપ્ત કરી ટાંચમાં લીધાના બનાવ પછી આવકવેરા વિભાગે કોઠારીની ૭ બેનામી મિલકતો શોધી કાઢી ટાંચમાં લીધી છે. આ મિલકતોમાં દુકાનો અને ફ્લેટનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગે આ પ્રોપર્ટીને બેનામી આવકમાં ગણી ડિમાન્ડ નોટિસ પાઠવી છે. જાે ઇડી અને આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવેલી પ્રોપર્ટી રિટર્નમાં દર્શાવી ન હોય તો પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. ગયા મહિને ઇડીએ સાજુ કોઠારી, અલ્લારખા શેખ બંનેના પરિવારના સભ્યો અને ભાગીદારોના નામે નોંધાયેલી ૪.૨૧ કરોડની ૩૧ સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્તકરી હતી. સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ, તેમના પરિવારના સભ્યો અને સાથીદારોના નામ પર સજ્જુ કોઠારી અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ હેઠળ ૨૬/૦૩/૨૦૨૪ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટએ સજ્જુ કોઠારી અને અન્યો સામે ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, અનધિકૃત નાણાં ઉછીના વ્યાજે આપી વસૂલાત કરવી, જુગાર, મિલકતને નુકસાન વગેરે સંબંધિત સુરત પોલીસ દ્વારા નોંધાયેલી ૬ હ્લૈંઇના આધારે તપાસ શરૂ કરી હતી.
ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ અંતર્ગત રૂ.૪.૨૯ કરોડની પ્રોપર્ટી સજ્જુ કોઠારી દ્વારા ખંડણી, હત્યા, અપહરણ, લૂંટ, અનધિકૃત નાણાં ધિરાણ, જુગાર, મિલકતને નુકસાન અને આવા અન્ય ગુનાઓ દ્વારા બનાવવામાં આવી હતી. સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ, તેમના પરિવારના સભ્યો અને સાથીઓની ૩૧ સ્થાવર મિલકતો પીએમએલએ, ૨૦૦૨ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. આયકર વિભાગની ટીમે સજ્જુ કોઠારીની સ્થાવર મિલકતોના રોકાણમાં તેના ભાગીદારો તથા વ્યાવસાયિક હિતો ધરાવતા લોકોની પણ જાણકારી મેળવી રહી છે. જે પૈકી આયકર વિભાગે ત્રણ મિલકતો બેનામી સંપત્તિ હેઠળ જપ્ત કરીને ઈડી બાદ સજ્જુ કોઠારીની મિલકતો અંગે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન વધુ ૭ મિલકતો પર આયકર વિભાગે એટેચમેન્ટની કાર્યવાહી હાથ ધરી છે.
માથાભારે સજ્જુ કોઠારીનો સુરતમાં ખૂબ આતંક હતો. તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મારવાની ધમકી આપતો હતો. બે વર્ષ પહેલાં ૨૬ માર્ચ ૨૦૨૨ના રોજ સજ્જુ કોઠારીને તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. કોઠારીએ નાનપુરાના જમરુખ ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો. તે રૂમમાંથી પોલીસે તેને પકડ્યો હતો.
કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ ૭૫૨૦ ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યો હતો. આ બાબતે કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.