સુરત,તા.૨૪
હજી પણ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જાેડાવાની મોસમ પૂરી થઈ નથી. રોજ રાજકીય પાર્ટીઓમાં નવા નવા મુદ્દાઓ ચર્ચામાં આવતા જ રહે છે. પ્રતિકાત્મક રીતે એકબીજાની સાથે જ છીએ એવું બતાવવા માટે પણ અલગ અલગ સંકેત આપવામાં આવે છે.
સુરત જિલ્લાના ઘલુડી ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંતો, મહંતો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા, પરંતુ સૌથી વધુ ધ્યાન આકર્ષે એવી ઘટના મંચ ઉપર જાેવા મળી હતી. તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ધાર્મિક માલવયા અને મુકેશ દલાલ એક સાથે મંચ ઉપર બેઠા હતા. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ધાર્મિક માલવયા અને અલ્પેશ કથેરીયા ગમે ત્યારે ભાજપમાં જાેડાઈ શકે તેવી શક્યતા છે. આજ સુધીમાં બંને નેતાઓ એક સાથે એક મંચ પર બેસતા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.
સુરત લોકસભા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના મુકેશ દલાલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી જાહેર થયા હતા. ત્યાર બાદ આંબેડકર જયંતીના દિવસે એક સાથે રીંગરોડ ખાતે બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ આપવા પહોંચ્યા હતા. એક જ ફોટો ફ્રેમમાં દેખાયા હતા. ત્યાર બાદ જે થયું તે સૌ કોઈ જાણે છે.
મંચની આસપાસ ઉભેલા લોકો પૈકી જાણવા મળ્યું છે કે, મુકેશ દલાલે રમુજમાં ધાર્મિક માલવિયાને કહ્યું હતું કે, ભાઈ હજી કેટલી વાર છે જલ્દી આવી જા… તો સામેથી ધાર્મિક માલવીયાએ માત્ર સ્મિત આપ્યું હતું.