સુરત, તા.૨૩
વર્ષ ૨૦૧૨માં નાનપુરા કાદરશાની નાળમાં પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ પાલિકાના મદદનીશ આરોગ્ય નીરીક્ષક સંજય પરમારે અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જો કે ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ ફરિયાદી બનાવ સ્થળે હાજરી નિઃશક રીતે પુરવાર કરી શક્યા ન હતા. આ ઉપરાંત બનાવ વખતે ફરિયાદી અને સાહેદોને થયેલી ઈજા પણ આરોપી દ્વારા થયેલી હોવાનુ ફરિયાદ પક્ષ સાબીત કરી શક્યુ ન હતું. કોર્ટે બચાવ પક્ષની દલીલો ધ્યાને લઈ ૧૨ જેટલા આરોપીઓને નિર્દોષ છોડી મુક્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૧૨માં સુરત મહાનગર પાલિકાના મદદનીશ આરોગ્ય નિરીક્ષક સંજય રસીલાલ પરમાર સહકર્મીઓ સાથે નાનપુરા કાદરશાહની નાળમાં મ્યુનીસીપાલ્ટી શોપિંગ સેન્ટરમાં કાયદેસરની કાર્યવાહી કરવા ગયા હતા. જ્યાં કેટલાક શખ્સોએ સંજય પરમાર અને તેમના કર્મીઓ સાથે ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી અને હુમલો કર્યો હતો. આ આક્ષેપ સાથે મદદનીશ આરોગ્ય નિરીક્ષક સંજય પરમારે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેથી અઠવા પોલીસે પાલિકાના ઓફિસરની ફરિયાદના આધારે ૧૫ થી વધુ લોકો સામે ફરજમાં રૂકાવટ અને મારામારીનો ગુનો નોંધ્યો હતો. આ કેસની ઈન્સાફી કાર્યવાહી જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ(થર્ડ કોર્ટ) ડો.કુ.સુપ્રીત કૌર ગાબાની કોર્ટમાં ચાલી હતી. બચાવ પક્ષે વકીલ યાહ્યા મુખ્તીયાર શેખ અને ઈસ્માઈલ જી. શેખે દલીલો કરી હતી કે ફરિયાદીની બનાવ સ્થળે હાજરી નિઃશક રીતે પુરવાર થતી નથી, તેમની ઈજા પણ બનાવ વખતે આરોપીઓ દ્વારા થયેલી હોવાની પુરવાર થતી નથી.
ફિરયાદીને જે આરોપી મારેલાનુ જણાવે છે તેવા કોઈ આરોપીની ઓળખપરેડ કરાવવામાં આવી નથી તેમજ કાદરશાહની નાળના સ્થાનિક નિર્દોષ લોકોને બનાવ બાદ ઉંચકી જઈ ખોટો કેસ કર્યો હોવાની દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ આ કેસના ૧૪ જેટલા આરોપીઓને નિર્દોષ છોડી મુક્તો હુકમ કર્યો હતો.