સુરત, તા.૦૩
રૂ.૧૦૦ કરોડથી વધુના મકબુલ ડોક્ટરના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં સંડોવાયેલા ઉનપાટીયાના અલી જવેરીએ જામીન ઉપર મુક્ત થવા કરેલી અરજી સુરત સેશન્સ કોર્ટે રદબાતલ કરી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, ગત ઓગષ્ટ માસમાં સુરત એસઓજીએ આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ ઝડપી પાડ્યો હતો. આ કૌભાંડનો આંકડો ૧૦૦ કરોડથી વધુ જાય છે. એસઓજીએ સોનીફળિયા સિંધીવાડ ખાતે સફીયા મંઝીલમાં રહેતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેના દિકરા કાસીફ મકબુલ ડોક્ટર સહિતના આરોપીનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. ડોક્ટર પિતા-પુત્રએ સહ આરોપીઓ સાથે મળી જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી તેઓની પાસેથી કરોડો રૂપિયા ઉસેટી આ નાણાં વિદેશમાં યુએસડીટી મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. એસઓજીએ આ હવાલા કૌભાંડમાં ઉનપાટિયા હલીમા રેસીડેન્સીમાં રહેતા અલી બિલાલ ઝવેરીની પણ ધરપકડ કરી હતી. અલી ઝવેરીએ સહ આરોપીઓ સાથે મળીને નાણા યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશ મોકલતો હતો. અલી ઝવેરીએ વકીલ મારફતે સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
સુરત એસઓજીએ જામીન અરજીના વિરોધમાં સોગંદનામુ રજુ કર્યું હતું. સોગંદનામા જણાવ્યા મુજબ આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય કેસ છે. ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે અન્ય આરોપીઓ પકડવાના બાકી છે. આરોપીના જામીન નામંજુર કરવા રજૂઆત કરી છે. સુરત સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
![૧૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં અલી ઝવેરીની જામીન અરજી કોટે ફગાવી](https://citytodaydaily.co.in/wp-content/uploads/2024/12/Untitled-3-2.jpg)